ભણેલા માણસો - સુરેશ દલાલ.
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
બંધ બારીબારણાં.
સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર,
આપણું તો કામ નહીં.
લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ :
વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.
સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
No comments:
Post a Comment